Suratના પલસાણામાં થયેલી મારામારીની ઘટનામાં 1 વ્યક્તિનું થયું મોત

સુરતના પલસાણા તાલુકાના ગંગાધરા ગામમાં ટ્રેક્ટર ચલાવવાના વિવાદમાં થયેલી મારામારીમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગત 7 તારીખે બનેલી ઘટનામાં રાહુલ નામના વ્યક્તિને બેફામ ટ્રેક્ટર ચલાવવા બદલ હસમુખ દોઢિયાએ ઠપકો આપ્યો હતો. રાહુલે આ વાત પોતાના ઘરે જઈને જણાવતા 15થી 20 ભરવાડ સમાજના લોકોનું ટોળું હસમુખ દોઢિયાના ઘરે પહોંચ્યું હતું. ટોળાએ હસમુખ સહિત ચાર લોકો પર લાકડી અને ધોકા વડે હુમલો કર્યો હતો. આ ઘટનાના વીડિયો અને સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

15થી 20 લોકો લુખ્ખાતત્વોની જેમ તૂટી પડ્યા

આમ તો સુરત જિલ્લા પોતાની નિષ્કાળજી તેમજ પક્ષપાતી વલણ માટે હંમેશા પોલીસ વિવાદમાં રહે છે. ત્યારે વધુ એક પોલીસની નિષ્કારજીની ઘટના પલસાણા તાલુકાના કારેલી ગામે બની છે. સમગ્ર ઘટના પર નજર કરીએ તો ગત 7 તારીખના રોજ એક રાહુલ નામનો માલધારી યુવક બેફામ રીતે ટ્રેકટર હંકારી રહ્યો હતો. જેને નજીક રહેતા હસમુખભાઈ દોઢિયાએ ટકોર કરી હતી. જેને પગલે યુવક ઉશ્કેરાઈ ગયો હતો. 15થી 20ના ટોળા સાથે મળીને ઠપકો આપનાર હસમુખભાઈ દોઢિયાના ઘરે જઈ અન્ય 4 જેટલા લોકો ઉપર લાકડાના સપાતા તેમજ મારક સાધનો સાથે લુખ્ખાતત્વોની જેમ તૂટી પડ્યા હતા. માલધારી સમાજના ઈસમોએ રીતસરનો વિસ્તારમાં ઉત્પાત મચાવી કાયદાના સરાજાહેર લીરેલીરા ઉડાવી દીધા હતા અને લોકોને ઢોર મારમારી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મારામારીના લાઈવ વીડિયો તેમજ સીસીટીવી ફૂટેજ વાયરલ થતા પોલીસ દોડતી થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ઘટના બાદ આરોપી ફરાર થઈ જતા લોકોમાં પણ ખુબ જ રોષ જોવા મળી રહ્યો હતો.

હસમુખ દોઢિયાનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો

એક તરફ ઘટનાના આરોપીઓ ફરાર હતા અને બીજી પલસાણા પોલીસ દ્વારા ફરિયાદી સાથે પક્ષપાતી વલણ તેમજ ગેરવર્તન કર્યું હોવાની વાતો વહેતી થઈ હતી. મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત સારવાર લઈ રહેલા હસમુખ દોઢિયાનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. પરિવારજનો તેમજ ગ્રામજનોએ ઘટનામાં સામેલ માલધારી સમાજના લોકોની તાત્કાલિક ધરપકડની માગ કરી રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો, પોલીસનો ઘેરાવ કર્યો તેમજ આરોપીના ઘર સુધી પહોંચવા લોકોએ લાકડાના ફટકા લઈ પોલીસ સાથે પણ માથાકૂટ કરી તો રસ્તે એક માલધારીને આવતો જોઈ મહિલા લાકડાના સપાતા લઈ તેની પાછળ મારવા દોડ્યા હતા. પરિસ્થિતિ વધુ વરસતા સુરત એલસીબી, એસોજી, કડોદરા, બારડોલી અને ડી. વાય એસપી સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ કાબુમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે પરિવારજનો તેમજ ગ્રામજનોની માગ હતી કે જ્યાં સુધી ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ ઝડપાય નહીં, ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ અને પી.એમ પણ કરવા દીધું નહતું. જોકે પોલીસના ઉચ્ચ અધિકારીઓની ખાતરી બાદ મામલો શાંત પડ્યો હતો. પોલીસ દ્વારા ઘટનામાં સામેલ 8 જેટલા ઈસમોની ધરપકડ કરી છે તેમજ અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે ગંભીર થવાની જરૂર

મહત્વનું છે કે અગાઉ થોડા સમય પહેલા જ આજ જગ્યાએ માલધારી સમાજના કેટલાક ઈસમોએ અગાઉ પણ મારામારી કરી હતી. જોકે પોલીસ દ્વારા અગાઉ પણ યોગ્ય કાર્યવાહી ન કરતા ઈસમોએ હત્યા જેવી ગંભીર ઘટનાને અંજામ આપ્યો છે. નજીવી ટકોર બાબતે ટોળાઓ ભેગા કરીને લોકોને માર મારવા સુધીની હિંમત પોલીસની રહેમ નજરના લીધે જ આવે છે. સુરત જિલ્લા પોલીસ પર અનેકો વખત પક્ષપાતી વલણ દાખવી પ્રથમ તો હડધૂત કર્યાના આક્ષેપો થયા હતા. જોકે પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસના માથે માછલા ધોવાતા જિલ્લા પોલીસ દોડતી થઈ હતી. ત્યારે ભૂતકાળમાં અનેક એવી ઘટનાઓ બની છે કે પોલીસ ઘટના બાબતે નિષ્કાળજી દાખવે છે અને પછી એજ ઈસમો મોટી ઘટનાને અંજામ આપે છે. ત્યારે હવે પોલીસ પણ નાની નાની ઘટના મોટી ન બને તે બાબતે ગંભીર થવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *